લેખિકા: કૃપા હેમેન્દ્રભાઈ જોષી
(માસ્ટર્સ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી)
દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોના એ ધૂળિયા રસ્તાઓ એવી વાર્તાઓ કહે છે,જે માસ કોમ્યુનિકેશનના કોઈ પાઠ્યપુસ્તકમાં નથી હોતી. ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરતી એક વિદ્યાર્થીની તરીકે, મેં તાજેતરમાં CSPC (ટાટા ટ્રસ્ટ્સની પહેલ) સાથે પાંચ દિવસની ઈન્ટર્નશિપ કરી. આ પાંચ દિવસો માત્ર ડિગ્રી માટેની જરૂરિયાત પૂરતા નહોતા, પરંતુ ગ્રામીણ આંગણવાડીઓના માધ્યમથી ‘બાળ શિક્ષણ અને સંભાળ’ (ECE) ના માનવીય પાસાને સમજવાનો એક અદભૂત લહાવો હતો.
વિકાસના માપદંડોમાં આપણે હંમેશા ઇન્ફ્રાસ્ટ્રકચર, કે હાજરીના પત્રકોની જ વાત કરીએ છીએ. પરંતુ રૂપેણ બંદર, આનંદ ચોક, લોવરાલી, વાચ્છુ અને ટુપણીની, મારી મુલાકાતોએ મને સમજાવ્યું કે શિક્ષણ માટે મકાન કરતા પણ વધુ જરૂરી ‘શિક્ષકનું હૃદય’ છે.

સંવેદનાનું સર્જન: શિક્ષણનો અસલી પ્રાણ
માસ કોમ્યુનિકેશનમાં અમને શીખવવામાં આવે છે કે કોઈપણ વાર્તાનો આત્મા શોધો. બાળ શિક્ષણમાં એ આત્મા એટલે ‘જોડાણ’ (Connection). જ્યારે બાળક તેની આસપાસના લોકો, વાતાવરણ અને વસ્તુઓ સાથે લાગણીથી જોડાય છે, ત્યારે જ તેનું સાચું શિક્ષણ શરૂ થાય છે. આધુનિક વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે માત્ર વ્યવસાયિકતા નહીં, પણ ‘હૃદયથી જોડાયેલી શિક્ષણ પદ્ધતિ’ બાળકોના માનસિક વિકાસ માટે અનિવાર્ય છે.
મેં રૂપેણ બંદરમાં કાજલબેન ને જોયા, જેમણે સરકાર ની મદદથી આંગણવાડીને એક નાના રૂમમાંથી સુંદર અને હવા ઉજાસવાળા કેન્દ્ર મા ફેરવી નાખી અને તેમણે શિક્ષણ શીખવાની સામગ્રીથી (TLM) સભર બનાવી દીધું. આ સાબિત કરે છે કે જ્યારે શિક્ષકમાં ઉત્સાહ અને જુસ્સો (‘વ્હાઇટ-હોટ’) હોય, ત્યારે મર્યાદિત સાધનોમાં પણ અદભૂત કામ થઈ શકે છે.
આંગણવાડીનું ગૌરવ: પાયાનું સબળ શિક્ષણ
આજના સમયમાં ઘણા પરિવારો ખાનગી શાળાઓ તરફ દોડી રહ્યા છે, પરંતુ સંશોધનો અને મારી નજરે જોયેલી હકીકત કંઈક અલગ જ છે. આંગણવાડી કેન્દ્રોમાં જે રીતે બાળકની પોતાની ભાષા, સંસ્કૃતિ અને તેની ઓળખને મહત્વ આપવામાં આવે છે, તે ખાનગી શાળાઓના રટાણિયા શિક્ષણમાં જોવા મળતું નથી.
સરકારી પદ્ધતિમાં બાળકને કોઈ બીબામાં ઢાળવાને બદલે, શિક્ષણને બાળકની જરૂરિયાત મુજબ ‘વણવામાં’ આવે છે. અહીં શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પણ એક એવી હુંફાળી જગ્યા છે જ્યાં બાળક સુરક્ષિત અનુભવે છે અને તેની જિજ્ઞાસા સંતોષાય છે.
અતૂટ સમર્પણની ગાથા: મુશ્કેલીઓ વચ્ચે પણ અડીખમ
આનંદ ચોકમાં મેં સીમાબેન ને જોયા. એક અકસ્માતમાં હાથની ઈજા છતાં તેઓ બે કેન્દ્રોનું સંચાલન જે મક્કમતાથી કરે છે, તે જોઈને આંખમાં હર્ષના આંસુ આવી જાય. ન્યુરોસાયન્સ કહે છે કે બાળકના જીવનના પ્રથમ હજાર દિવસોમાં જો તેને પરિવારની બહાર કોઈ વ્યક્તિ (શિક્ષક) તરફથી સતત પ્રેમ અને ભરોસો મળે, તો તે બાળક ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ બને છે.
લોવરાલી જેવા નાના ગામમાં, જ્યાં માત્ર ૩૫ ઘરો છે, ત્યાં લીલાબેન નું બાઇક આવવું અને ૧૦૦% હાજરી સુનિશ્ચિત કરવી એ વિશ્વાસનું પ્રતિક છે. તેવી જ રીતે વાચ્છુમાં રૂડબાઈ જેવા હેલ્પર બહેનો જે નિઃસ્વાર્થ ભાવે રસોઈ અને પોષણનું ધ્યાન રાખે છે, તે દર્શાવે છે કે આ કેન્દ્રો માત્ર ભણવા માટે નથી, પણ પ્રેમ પીરસવા માટે પણ છે. સાચી હૂંફ તો ત્યારે આંખે આવે જ્યારે મે જોયું કે હેલ્પર બેન બાળકોને ઘર સુધી લેવા મૂકવા જેટલો વ્હાલ આપે.

ફોટોગ્રાફરની નજરે:
એક સ્ટ્રીટ ફોટોગ્રાફર તરીકે મેં મારા કેમેરામાં એવા અનેક દ્રશ્યો કેદ કર્યા જ્યાં માત્ર હાસ્ય અને રમતો દ્વારા શિક્ષણ અપાતું હતું. ‘અમ્માચીના ચશ્મા’ જેવી વાર્તાઓ જ્યારે ગ્રામીણ બાળકો સાંભળે છે, ત્યારે તેમની આંખોમાં જે ચમક હોય છે તે અમૂલ્ય છે. શિક્ષણમાં સૌથી અગત્યનું કામ ‘બોલવું’ કે ‘શીખવવું’ નથી, પણ બાળકને ‘સાંભળવું’ છે. આંગણવાડીના આ ઓછુ બોલતા પણ વધુ કામ કરી જતા શિક્ષકો બાળકોને માત્ર અક્ષરો નથી શીખવતા, પણ તેમને એક સક્ષમ નાગરિક બનવાની પાંખો આપે છે.
નિષ્કર્ષ: પરિવર્તનનું સાચું સરનામું
મારી આ ઈન્ટર્નશિપમાં મેં શીખ્યું કે વિકાસ માત્ર ઈંટો અને સિમેન્ટના મકાનોથી નથી આવતો, પણ જ્યારે એક શિક્ષક બાળકના જીવનમાં ‘લાગણી અને હૂંફ’ ઉમેરે છે ત્યારે આવે છે. આ આંગણવાડી કાર્યકરોની કોઠાસૂઝ અને તેમનું સમર્પણ જ ખરા અર્થમાં ગ્રામીણ શિક્ષણને જીવંત રાખે છે.
આ લેખ દ્વારા હું મારા સાથી વિદ્યાર્થીઓ અને વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે, આપણે શિક્ષણના આંકડાઓની સાથે સાથે એ હૂંફની પણ કદર કરવી જોઈએ જે આ કાર્યકરો દ્વારા પીરસવામાં આવે છે. સાચું પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે આપણે આ ‘માનવીય જોડાણ’ને બાળ શિક્ષણના મૂળ ગણીશું.


